તળાવોના બ્યુટિફિકેશનમાંથી કૌભાંડનો કદરૂપો ચહેરો જ ડોકાઇ રહ્યો છે


વસ્ત્રાપુર, મેમનગર અને વેજલપુરના

કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા તળાવોમાં ઢોર ફરી રહ્યાં છે, ડમ્પિંગ સાઇટ બની ગઇ છે

અમદાવાદ : ચાલુ વર્ષે ચોમાસામાં અમદાવાદના રસ્તાઓ ઊંટ સવારીની યાદ અપાવે તેટલી હદે ખરાબ થઇ ચુક્યા હતા તે પૈકી હજુ પણ ઘણા રસ્તાઓની હાલત સુધરી નથી. ત્યારે આ રસ્તાઓના રીપેરીગની જવાબદારી અને પેનલ્ટી તેના કોન્ટ્રકટરોના શિરે નાખવાની વાત હતી.

જો રસ્તાઓ બાબતે કોન્ટ્રાક્ટરોની જવાબદારી ઉભી થતી હોય તો કોર્પોરેશનના આવા જે કામો જેણે કર્યા હોય તેમની જ જવાબદારી જે તે કામો માટે ઉભી થાય તે બાબત એટલી જ સ્વાભાવિક છે. 

ત્યારે મુદ્દો એ ઉપસ્થિત થાય છે કે, અમદાવાદના બ્યુટીફીકેશન પાછળ જે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે, તેમાં આચરાયેલા કૌભાડોના કારણે આર્થિક નુકશાન થયું છે તેની જવાબદારી પણ જે તે કામ કરનાર કોન્ટ્રાક્ટરની જ બની રહે છે.

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારના મહત્વના ત્રણ તળાવો મેમનગર, વસ્ત્રાપુર અને વેજલપુરના પાંચા તળાવની વાત છે. જે તે સમયે અમદાવાદ શહેર અને ઔડાના વહીવટદારો દ્વારા આ તળાવોના કરાયેલા વિકાસને ગાઈ વગાડીને લોકો સમક્ષ રજૂ કરાતો હતો.

કરોડો રૂપિયાના ખર્ચે કરાયેલા બ્યુટીફીકેશનની પાછળના હાડપીંજરો હવે બહાર આવતા એક સમયના ભાજપના મોભી ગણાતા અગ્રણીની મેલી મથરાવટી હવે લોકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે.

વસ્ત્રાપુર તળાવમાં ઓપન એર થીયેટરની દિશામાં લગભગ 200x70 ફૂટ કરતા એ મોટું ગાબડું પડી ગયું છે જેથી એ તરફનો પ્રવેશ જ સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. તેવી જ રીતે ઠેર ઠેર માત્ર સાંધાઓ પૂરીને ફીટ કરાયેલા સેકડો પથ્થરો ઉખડીને ગૂમ થઇ ગયા છે.

મેમનગરના તળાવની તો વાત જ કરવા જેવી નથી આ તળાવ જે આ વિસ્તારના નાગરિકો માટે બનાવાયું છે તેમાં ચારે તરફ ગાય, ભેંસ અને કુતરાઓ મોજ કરે છે, આ તળાવ તો કચરાની કોઈ મોટી ડમ્પીગ સાઈટ જ બની ગયું છે.

કારણ કે, તળાવની પાળને જ્યાંથી બાંધવામાં આવી હતી ત્યા કોઈ જાતના સિમેન્ટનું નામોનિશાન જ નહી હોવાના કારણે મોટા મોટા ગાબડા પડી ગયા છે જેના કારણે અહી મોટા પ્રમાણમાં ઢોર ઘુસી આવતા લોકોએ પોતાના બાળકોની સલામતી માટે આ જગ્યાએ જવાનું જ બંધ કરી દીધું છે.

તેવી જ સ્થિતિ વેજલપુર વિસ્તારના પાંચાનાં તળાવની છે. અહી પણ ઠેર ઠેર પથ્થરો ઉખડી જવા સાથે ખાડાઓ પડી ગયા છે. દુર્ગંધ મારતા પાણીની સાથે સાથે અહી પણ ડમ્પીગ સ્ટેશન જ બની ગયું છે.

કરોડો રૂપિયાના ખર્ચે કાકાએ આ તળાવોનો વિકાસ તો કરાવ્યો પરંતુ માત્ર પોતાના મળતીયાઓને જ સોપેલા કામોના કારણે કોન્ટ્રાક્ટરોએ માત્ર મેકઅપ કરીને જે તે સમયે તળાવોનો ચહેરો ચમકાવી દીધો હતો. પરંતુ હવે એ ચમકદમક ઝાંખી પડતા જ તેની પાછળના કૌભાંડ બહાર આવી રહ્યા છે. 

સુરેન્દ્ર પટેલ અને મળતિયા કોન્ટ્રાક્ટરોની સાઠગાંઠ

તળાવો કે અન્ય સ્થળોનું બ્યુટિફિકેશન કરાય તે તો સર્વથા ઉચિત જ છે પણ એ 'સુંદર ચહેરો' ચમકાવવામાં જે કોન્ટ્રાક્ટરોએ કૌભાંડ આચર્યું છે તે અંગે લોકોમાં કાકા ઉર્ફે સુરેન્દ્ર પટેલ સામે સાઠગાંઠની આંગળી ચિંધાઈ રહી છે. ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં એકહથ્થુ સત્તા ભોગવનારા આ અગ્રણી સામે આક્ષેપ થઈ રહ્યો છે કે પ્રજાના પરસેવાના પૈસાનો દુરૂપયોગ કરનારા કોન્ટ્રાક્ટરોને એમનું રક્ષણ મળેલું છે.

કામ એવી હલકી કક્ષાનું થયું છે કે આ તળાવોમાં ક્યાંક ઢોર ફરી રહ્યાં છે, ક્યાંક કચરો નાંખવાની જગ્યા-ડમ્પિંગ સાઈટ બની ગઈ છે. ગુણવત્તા વગરનું કામ થયું છતાં એકેય કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થયો નથી કેમકે સુરેન્દ્ર પટેલ તરફથી એ બધાંને અનુચિત રક્ષણ મળેલું છે. આંખ આડા કાન કરાયા તેનો બોજો નાગરિકો ઉઠાવી રહ્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cSqX4x
via IFTTT

Post a Comment

أحدث أقدم