10-12ની બોર્ડ પરીક્ષામાં કોર્સ ઘટશે કે નહીં : સ્પષ્ટતા કરવા માંગ


કોર્સ કેટલો ભણાવવો તે અંગે શિક્ષક સંઘની રજૂઆત  : બોર્ડ  સમિતિની મીટિંગ બાદ નિર્ણય

અમદાવાદ : ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં કોર્સ કેટલો રહેશે ? કોર્સ ઘટશે કે નહી તે અંગે સ્પષ્ટતા કરવા માધ્યમિક શિક્ષક સંઘે રજૂઆત કરી છે. જો કે બોર્ડની સમિતિઓ જ હજુ સુધી રચાઈ ન હોવાથી નિર્ણય લઈ શકાયો નથી. 

કોરોનાને લીધે આ વર્ષે પણ સ્કૂલો ઓફલાઈન મોડી શરૂ થઈ છે અને હજુ પણ સ્કૂલોમાં હાજરી ફરજીયાત ન હોવાથી ઓફલાઈન તથા ઓનલાઈન એમ બંને મોડમાં શિક્ષણકાર્ય ચાલી રહ્યુ છે.જેથી ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો કોર્સ ઘટાડવા માંગ ઉઠી છે.સીબીએસઈ દ્વારા પહેલેથી કોર્સ ઘટાડાની સ્પષ્ટતા કરી દેવાઈ છે પરંતુ ગુજરાત બોર્ડે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી.

જો કે ગુજરાત શિક્ષણ બોર્ડે અગાઉ પરિપત્ર કરીને જાહેરાત કરી દીધી છે કે બોર્ડ પરીક્ષા 100 ટકા કોર્સ પ્રમાણે જ લેવાશે પરંતુ સીબીએસઈને પગલે ગુજરાત બોર્ડ પણ  ગત વર્ષની જેમ 30 ટકા કોર્સ ઘટાડે તેવી માંગ ઉઠી છે. 

ગુજરાત બોર્ડ પણ 30 ટકા કોર્સ ઘટાડે તેવી શક્યતા છે.ગુજરાત બોર્ડની ચૂંટણી થયા બાદ હજુ સુધી નવી સમિતિઓની રચના થઈ નથી .જેથી આગામી બીજી નવેમ્બરે મળનારી સામાન્ય સભાની બેઠકમાં નવી સમિતિઓ રચાયા બાદ શિક્ષણ સમિતિ દ્વારા કોર્સ ઘટાડા અંગે નિર્ણય લેવાશે.

માધ્યમિક શિક્ષક સંઘે કોર્સ કેટલો વિદ્યાર્થીઓને ભણાવવો તે અંગે સ્પષ્ટતા કરવા માંગ કરી છે. હાલ તો પ્રથમ સત્ર પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને હવે દિવાળી વેકેશન બાદ કેટલો કોર્સ ભણાવવો અને કેટલા કોર્સ પ્રમાણે પરીક્ષા લેવાશે તેની કોઈ સ્પષ્ટતા નથી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZqQgXP
via IFTTT

Post a Comment

Previous Post Next Post