કોંગ્રેસ છોડી ભાજપમાં જઇ ફરી ચૂંટણી લડનારા MLA પાસેથી ખર્ચ વસૂલો


અમદાવાદ, તા. 27 ઓક્ટોબર, 2020, મંગળવાર

અંગત લાભ અને સ્વાર્થ માટે પક્ષ છોડી અન્ય પક્ષમાંથી પેટાચૂંટણી લડનારા ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસૂલવાની માગણી કરતી જાહેર હિતની રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના 15 ધારાસભ્યો પક્ષ છોડી ભાજપમાં ગયા છે અને તેઓ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા, જેમાંથી કેટલાંક ફરી ચૂંટાયા પણ હતા.

એક વિધાનસભા બેઠક પર ચૂંટણી માટે પંચને એકથી બે કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. અંગત દાવપેચ માટે પ્રજાના નાણાનો વ્યય કરનારા ધારાસભ્યો પાસેથી ખર્ચની રિકવરી કરવા ચૂંટણી પંચે તેની સત્તાનો ઉપયોગ કરવી જોઇએ. રિટની વધુ સુનાવણી 29મી ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.

અરજદારની રજૂઆત છે કે ડિસેમ્બર-2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં 182 બેઠકો પૈકી વર્તમાન શાસપ પક્ષ ભાજપને 99 બેઠકો મળી હતી અને કોંગ્રેસ(ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ)ને 77 બેઠકો મળી હતી.

ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં કોંગ્રેસના 15 ધારાસભ્યો અંગત કારણો આપી ધારાસભ્યપદેથી અને પક્ષમાંથી રાજીનામું  આપ્યું છે. ત્યારબાદ આ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે લડયા હતા, જેમાં ઘણાં ધારાસભ્યો પુન: ચૂંટાયા હતા.

પક્ષાંતરધારાની જોગવાઇઓણાંથી બચવા ધારાસભ્યો દ્વારા આવા દાવપેચ કરવામાં આવે છે. જુલાઇ-2018થી લઇ જૂન-2020 સુધી કુલ 15 ધારાસભ્યો આ દાવપેચ રમ્યા છે અને જેના કારણે લોકોના ટેક્સના નાણાના ખર્ચે પેટાચૂંટણીઓ યોજાઇ છે અને અત્યારે પણ યોજાઇ રહી છે.

ધારાસભ્યો દ્વારા અંગત કારણ આપી અંગત હિત માટે લેવાતાં આ પગલાં ભ્રષ્ટાચાર અને ઉગ્ર હોર્સ ટ્રેડિંગ દર્શાવે છે. એક વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજવા આશરે એકથી બે કરોડ રૂપિયાનો ખર્ચ ચૂંટણી પંચને થાય છે, અને આ ખર્ચ લોકોના ટેક્સના નાણા દ્વારા એકત્ર થયેલા ભંડોળમાંથી ચૂકવવામાં આવે છે.

બંધારણના અનુચ્છેદ-324 મુજબ ચૂંટણી પંચને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવાની સત્તા આપવામાં આવી છે. જે-તે વિધાનસભા ક્ષેત્રના લોકોએ વિશ્વાસ રાખી જે ધારાસભ્યોને ચૂંટયા છે તેઓ પોતાના અંગત હિતો અને પોતાની સમૃદ્ધિ માટે રાજીનામું આપી ફરી પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી રહ્યા છે, જેના ખર્ચનો બોજ આખરે પ્રજા પર આવે છે. તેથી આવાં નેતાઓ પાસેથી નાણાંની રીકવરી કરવી જોઇએ.

ભાજપમાંથી ચૂંટણી લડવા કોંગ્રેસ છોડનારા 15 ધારાસભ્યો

કુંવરજી બાવળિયા (જસદણ) (વર્તમાન મંત્રી), આશાબહેન પટેલ(ઉંઝા), જવાહર ચાવડા (માણાવદર) (વર્તમાન મંત્રી), પરસોત્તમ સાબરિયા (ધ્રાંગધ્રા), વલ્લભ ધારવિયા (જામનગર),  અલ્પેશ ઠાકોર (રાધનપુર), ધવલસિંહ ઝાલા (બાયડ), પ્રવીણ મારૂ (ગઢડા),  પ્રદ્યુમ્નસિંહ જાડેજા (અબડાસા), જે.વી. કાકડિયા (ધારી),  સોમા ગાંડાલાલ પટેલ (લીંબડી), મંગળ ગાવિત (ડાંગ),  જીતુ ચૌધરી (કપરાડા), અક્ષય કુમાર પટેલ (કરજણ), બ્રિજેશ મેરજા (મોરબી)



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HFo3UR
via IFTTT

Post a Comment

أحدث أقدم