હાઇકોર્ટના જજને ફોન કરવાના કેસમાં બિનશરતી માફી ફગાવાઇ


અમદાવાદ, તા. 7 સપ્ટેમ્બર, 2020, સોમવાર

પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલના નામે હાઇકોર્ટના જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીને ફોન કરી આગોતરા જામીન માટે ભલામણ કરવાના કેસમાં આરોપી વિજય શાહ અને અલ્પેશ પટેલની બિનશરતી માફી ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે.

અલ્પેશ પટેલે તેના આગોતરા જામીન મંજૂર કરાવવા અલ્પેશ પટેલને પૈસા આપી ફોન કરાવ્યો હતો અને તેના બદલ બન્ને સામે હાઇકોર્ટે કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરી છે. કોર્ટે આજે બન્નેની માફી ફગાવી કન્ટેમ્પ્ટ કાર્યાવહી આગળ ધપાવવાનો આદેશ કર્યો છે.

જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે નોંધ્યું છે કે આવી હરકત દ્વારા કોર્ટ પ્રત્યે તિરસ્કાર અને અપમાન દર્શાવવાના કેસમાં આરોપી માત્ર બિનશરતી માફી માગી કન્ટેમ્પ્ટ કાર્યવાહીથી બચી શકે નહીં. આરોપીઓની માફીમાં વિશ્વસનીયતા જણાતી નથી.

આરોપીઓના કૃત્યને અવગણી તેમને માફ કરી દેવામાં આવે તો ન્યાયતંત્ર પોતે જ પોતાની ગરિમા સાથે સમાધાન કરતું હોય તેવું લાગશે. આણંદ જિલ્લાના પેટલાદમાં લોકડાઉન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણના કેસના આરોપીઓ ધરપકડથી બચવા હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.

જેમાં તેણે પ્રભાવ પાડવા જસ્ટિસ બેલાબહેન ત્રિવેદીને ફોન કરાવ્યો હતો અને તેમાં સામેની વ્યક્તિ એમ બોલી હતી કે તે પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ છે અને જામીન માટે ભલામણ કરી હતી. જો કે બાદમાં બહાર આવ્યું હતું કે વિજય શાહે જ અલ્પેશ પટેલના નામના યુવાનને પૈસા આપી ફોન કરાવ્યો હતો. જેના બદલ બન્ને સામે અત્યારે કન્ટેમ્પ્ટ કાર્યવાહી ચાલી રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2F8YQk1
via IFTTT

Post a Comment

Previous Post Next Post