ખારીકટ કેનાલ અને સાબરમતીમાં ફરી છોડાવા માંડેલું કેમિકલયુક્ત ગંદુ પાણી


અમદાવાદ, તા. 27 ઓગસ્ટ, 2020, ગુરૂવાર

અમદાવાદમાં અનલોક-3માં ફેકટરીઓ, કારખાના, પ્રોસેસ હાઉસ વગેરે ધમધમતા થઈ જતાં ખારીકટ કેનાલ અને સાબરમતી નદીમાં પુન: ટ્રીટ કર્યા વગરનું કેમિકલયુક્ત ગંદુ પાણી ધોધમાર છોડાવા લાગ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીની આજે મળેલી મીટીંગના ઝીરો અવર્સમાં પણ ખારીકટ કેનાલમાં પૂર્વઝોનની ઈન્ડસ્ટ્રીઝના છોડાતા ગંદા પાણીના પ્રશ્ને ચર્ચા થઈ હતી. ચેરમેને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સાથે સંકલન કરી પગલાં લેવા તંત્રને જણાવ્યું હતું.

ખારીકટ કેનાલ વર્ષો બાદ જહેમત લઈને બે-અઢી વર્ષ પહેલાં સંપૂર્ણપણે સાફ કરાવાઈ હતી, તેની હાલ ફરી પહેલાંના જેવી જ થવા માંડી છે. સિંચાઈ માટેનું પાણી પણ કેમિકલયુક્ત પાણી ભેગું થતાં પ્રદુષિત થઈ જાય છે. આ પાણી આગળના આઠથી દસ ગામોમાં શાકભાજી ઉછેરતા ખેતરોમાં પીવડાવવાાં આવે છે. આ બાબત ખૂબ જ ગંભીર હોવાનું અને માનવ આરોગ્ય સામે પડકારરૂપ હોવાનું ગયા વર્ષે ભાજપના જ એક સિનિયર કોર્પોરેટરે જણાવ્યું હતું.

મ્યુનિ.ના અગાઉના કમિશનરે એવી જાહેરાત કરી હતી કે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના 1, મ્યુનિ.ના 1 અને પોલીસ ખાતાના 1 એમ ત્રણ કર્મચારીઓ ટૂકીડી બનાવાશે જે જીપમાં ફરીને પ્રદુષણ ફેલાવનારાઓને શોધી કાઢીને તેમની સામે કામ ચલાવવાની કામગીરી કરશે. જો કે આ જાહેરાત બાદ આ દિશામાં એક ડગલું પણ કોઈ આગળ વધ્યું નથી. ક્યારેક તો ગંદા પાણીના ટેન્કરો જ રાતના સમયે કેનાલમાં ઠલાવઈ જાય છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lxAnFZ
via IFTTT

Post a Comment

أحدث أقدم