ગુજરાતમાં કપાસ અને મગફળીનું વિક્રમ ઉત્પાદન થવાની શક્યતા


ફુડગ્રેઇન્સમાં 30.96 લાખ ટન ઉત્પાદનની ધારણા

22.56 લાખ હેક્ટરમાં થયેલા વાવેતરથી 80.85 લાખ ગાંસડી કપાસ અને 19.14 લાખ હેક્ટરમાં થયેલા વાવેતરથી 39.94 લાખ ટન મગફળી થશે

ગાંધીનગર : ગુજરાતમાં ખરીફ મોસમમાં થયેલી વાવણી સામે આ વર્ષે વિક્રમ ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યના કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે ધાન્ય પાકોનું ઉત્પાદન 2645520 ટન થવાની ધારણા છે. રાજ્યમાં કપાસનું ઉત્પાદન 80.85 લાખ ગાંસડી થશે જે ગયા વર્ષની સરખામણીએ આઠ લાખ ગાંસડી વધારે છે.

ખેડૂતોએ 22.56 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કર્યું છે. બીજી તરફ સિંગતેલ સહિતના ભાવો આસમાને છે ત્યારે રાજ્યમાં ખેડૂતોએ આ વર્ષે 19.14 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કર્યું હતું જે પૈકી આ વર્ષે 39.94 લાખ ટન મગફળીનો પાક થશે.

મગફળીના પાકમાં વાવેતરની એવરેજ 16.85 લાખ હેક્ટર વિસ્તારમાં હોય છે છેલ્લા બે વર્ષથી એવરેજ કરતાં વધારે વાવેતર થઇ રહ્યું છે. ફર્સ્ટ એડવાન્સ એસ્ટીમેટ્સ પ્રમાણે કૃષિ વિભાગે ખરીફ સિઝનના કુલ ફુડગ્રેઇન્સમાં 3096120 ટન ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે જ્યારે તેલિબિયામાં કુલ ઉત્પાદન 5782890 ટન થવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે.

ઓઇલ મિલરો અને વેપારીઓ નફાખોરી ન કરે તો રાજ્યમાં કપાસ અને મગફળીનું વાવેતર અને ઉત્પાદનના અંદાજ જોતાં આ વર્ષે ખાદ્યતેલના ભાવમાં લોકોને રાહત મળે તેવા અણસાર છે.  જો કે રાજ્યના કૃષિ વિભાગે ખરીફ સિઝનના અન્ય પાકો જેવાં કે તલ, શાકભાજી, ઘાસચારાના ઉત્પાદનના આંકડા હજી કાઢયા નથી.

ખેડૂતોએ 2.66 લાખ હેક્ટરમાં શાકભાજી અને 10.92 લાખ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કર્યું છે. આ વર્ષે રાજ્યમાં ખરીફ વાવેતરનો આંકડો 86 લાખ હેક્ટરને ક્રોસ કરી ગયો છે જે ગયા વર્ષની તુલનાએ સરખો રહ્યો છે પરંતુ પ્રતિકૂળ વાતાવરણના કારણે ખેડૂતોને ખરીફ પાકમાં 15 થી 20 ટકા નુકશાન થયું હોવાનું સરકારનો છેલ્લો સર્વે રિપોર્ટ કહે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jVCVON
via IFTTT

Post a Comment

Previous Post Next Post