
રિક્ષા-મોટર માટેના CNG અને રસોડા માટેના PNGના ભાવમાં પણ વધારો
સિરામિકનાં ઇંધણ તરીકે વપરાતા CNGનો 35 ટકા ફાળો: રૂા. 60000 કરોડનું ટર્નઓવર ધરાવતા મોરબીના ઉદ્યોગને ફટકો
અમદાવાદ : મોરબીના સિરામિક ઉદ્યોગ સહિત કેમિકલ, ફાર્માસ્યૂટિકલ્સ, ફર્ટિલાઈઝર્સ અને ગેસનો ઉપયોગ કરીને વીજળીનું ઉત્પાદન કરતાં ઉદ્યોગને આપવામાં આવતા સીએનજીના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ ભાવમાં જંગી વધારો આવી જતાં પાંચેય ઉદ્યોગને મોટો ફટકો પડશે.
કેન્દ્ર સરકારે નેચરલ ગેસના ભાવમાં 62 ટકાનો વધારો કર્યો છે. પરિણામે સ્થાનિક સપ્લાયર્સને પણ ગેસનાભાવ વધારવાની ફરજ પડી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં એમએમબીટીયુ દીઠ ભાવ 32થી 35 અમેરિકી ડૉલર જેટલા થઈ ગયા છે.
સિરામિક ઉદ્યોગના કુલ ઉત્પાદન ખર્ચમાં અંદાજે 35 ટકા જેટલો ખર્ચ ગેસનો કે ઇંધણનો ખર્ચ આવે છે. હજીય સીએનજીના ભાવમાં વધારો થશે તો ઇંધણ ખર્ચ હજીય વધી શકે છે. સિરામિકનું એક્સપોર્ટ કોરોના પછી કન્ટેઈનર્સના અભાવે 40થી 50 ટકા ઘટી ગયું છે. તેથી સ્ટોક ઇન ટ્રેડ ઘણો વધી ગયો છે.
સ્થાનિક બજારમાં તેનું સંપૂર્ણ વેચાણ શક્ય જ નથી. દેશમાં કોરોના પછી બજાર ખૂલતા એકમો ફરી ચાલુ થયા છે. પરંતુ દિવાળીમાં ફરીથી ઉત્પાદન બંધ કરવાની ફરજ પડશે. કોરાણ કે નિકાસ કન્ટેઈનરની અછતને પરિણામે થઈ શકતી નથી. જોકે સીએનજીના વિકલ્પે એલપીજી અને પ્રોફેન પણ વાપરી શકાય છે. પરંતુ તેનો ભાવ સીએનજી કરતાંય ઊંચો થઈ ગયો છે.
બંને ગેસ આયાતી ગેસ છે. તેથી તે વિકલ્પનો પણ આશરો લઈ શકાય તેમ નથી. મોરબીમાં સિરામિકનું ઉત્પાદન કરતાં અંદાજે 900 એકમો છે. આ 900 એકમો મળીને વરસે દહાડે રૂ. 60,000 કરોડનું ટર્નઓવર કરે છે. તેના થકી અંદાજે 2થી 2.25 લાખ લોકોને રોજગારી આપે છે. ગુજરાતના કેમિકલ ઉદ્યોગના ઉત્પાદન ખર્ચમાં સીએનજીનો એટલે કે ઇંધણના ખર્ચમાં થકી પાંચ ટકાનો વધારો થઈ જવાની દહેશત છે.
છેલ્લા છ આઠ મહિનામાં ઉદ્યોગો દ્વારા વપરાતા સીએનજીના ભાવમાં 50 ટકાથી 60 ટકાનો વધારો થયો છે. તેથી કેમિકલ ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચ વધ્યો છે. કોલસાની જગ્યાએ સીએનજીને વાપરવાથી ફ્યુઅલ કોસ્ટ વધીને 3 ગણી થઈ જાય છે. સીએનજીના ભાવ પણ સતત વધ્યા કરતાં હોવાથી કેમિકલ ઉદ્યોગના ગણિતો ખોરવાઈ રહ્યા છે.
વાસ્તવમાં ઇન્ડસ્ટ્રીને આપવામાં આવતા ગેસના ભાવમાં વધારો કરતાં પહેલા ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને પૂછવામાં જ આવતું નથી. તેમને પૂછવામાં આવે તો તેમના ગણિતો ન ખોરવાય તે રીતે વધારો કરીને તમામને બચાવી શકાય છે. રૉ મટિરિયલના ભાવની જેમ જ શિપિંગ માટેના કન્ટેઈનરના ભાવમાં વધારો થઈ ગયો છે. તેને પરિણામે એક્સપોર્ટમાં 40 ટકાનું ગાબડું પડી ગયું છે.
આ દરેક સ્તરે વધારો જોતાં કેમિકલ ઉદ્યોગ પર તેની અવળી અસર પડી રહીછે. પરિણામે એક્સપોર્ટમાં પણ અપેક્ષા કરતાં ઓછો વધારો થઈ રહ્યો છે. નેગેટીવ ગ્રોથ જોવા મળી રહ્યો છે. પ્રાઈસ રાઈસ સામે એક્સપોર્ટમાં 20 ટકા વધારો થવાને બદલે 10 ટકા જ વધારો થયો છે. ફાર્મા ઉદ્યોગને પણ સીએનજીના ભાવ વધારાની વિપરીત અસરનો ભોગ બનવું પડશે.
એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ બનાવતા એકમોમાંથી ઘણાં એકમોએ બોઈલર ચલાવવા માટે સીએનજી વાપરવું પડે છે. તેમ જ તેમની કેમિકલ પ્રોસેસ માટે પણ સીએનજી વાપરવું પડે છે. તેના પૂરતી તેની અસર આવી શકે છે. જોકે મોટા એકમો તો સો ટકા પાવર પર જ નિર્ભર હોવાથી ગેસથી ચાલતા પાવર પ્લાન્ટ હોય તો તેમને અસર આવી શકે છે. પાવર કંપનીઓમાં પણ ગેસનો ઉપયોગ કરીને પાવર પ્રોડક્શન કરતી વીજ કંપનીઓનો વીજ ઉત્પાદન ખર્ચ ઊંચો જઈ શકે છે.
સ્થાનિક ગેસ ઉત્પાદકોને ભાવ વધારો આપવો યોગ્ય નથી
ડોમેસ્ટિક ગેસ ઉત્પાદકોના પહેલી ઓક્ટોબરથી નેચરલ ગેસના ભાવ 3.75 ડૉલરથી વધારીને 6.1 ડૉલર કરી આપવાનો સરકારનો નિર્ણય ઉચિત નથી. કારણ કે સ્થાનિક ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય સ્તરના પરિબળોની કોઈ જ અસર થઈ નથી.
તેઓ પગાર પણ રૂપિયામાં જ ચૂકવે છે. તેમનો ઉત્પાદન ખર્ચ પણ રૂપિયામાં જ થાય છે. તેથી આંતરરાષ્ટ્રીય સ્તરના પરિબળોની અસર તેમના પર જોવા મળી નથી. તેથી તેમને આપેલો ભાવવ ધારો ઉચિત નથી. આઈઓસી અને રિલાયન્સ જેવી કંપનીઓ સ્થાનિક સ્તરે ગેસનું ઉત્પાદન કરે છે.
CNG નિર્ભર ઉદ્યોગો નિયંત્રિત ઉત્પાદન કરી ખર્ચબોજથી બચે
સીએનજીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરતાં એકમોએ અને તેમાંય ખાસ કરીને સિરામિક ઉદ્યોગે તેમના ઉત્પાદનની પ્રક્રિયાને સીમિત કરીને આ ભાવ વધારાથી બચવાનો રસ્તો અપનાવવો જોઈએ એમ ગેસના સેક્ટરના જાણકારોનું કહેવું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવ વધ્યા હોવાથી સ્થાનિક બજારમાં ઓછા ભાવે ગેસ મળે તેવી સંભાવના ઓછી છે. કારણ કે ભારત 60 ટકા આયાતી ગેસ પર નિર્ભર છે. મોરબીના ઉદ્યોગો સીમિત ઉત્પાદન કરીને તેમની ઇન્વેન્ટરી ખતમ કરવા પર ધ્યાન કેન્દ્રત કરશે તો તેમને ગેસ વધારાનો બોજની અસર ઓછી થશે અને તેમની ઇન્વેન્ટરીનો ઉપયોગ પણ થઈ જશે.
ગેસનો રિઝર્વ જથ્થો ખૂટયો ને ભાવ ઉછળ્યા, ભારતમાં 50 ટકા નેચરલ ગેસની થતી આયાત
આંતરરાષ્ટ્રીય બજારમાં એપ્રિલ માસમાં લિક્વિડ નેચરલ ગેસના એમએમબીટીયુદીઠ ભાવ 5 ડૉલરની આસપાસ હતા. તે આજે 35ની આસપાસનો છે. કોરોનાને કારણે ડિમાન્ડ ઘટી જતાં નેચરલ ગેસનું ઉત્પાદન ઘટી ગયું હતું. આ વખતે યુરોપમાં વાતાવરણ વધુ ગરમ થતાં કૂલિંગ માટે સીએનજીનો ઉપયોગ વીજ ઉત્પાદન માટે વધુ વપરાયો હતો. તેથી તેમની પાસેના રિઝર્વ સ્ટોક વપરાઈ ગયો છે.
બીજીતરફ ગેસના ઉત્પાદકોના ઉત્પાદન ઓછા હોવાથી સપ્લાય ઓછો હતો. તેની સામે કોરોના હળવો થતા પાવરની ડીમાન્ડ વધતા ગેસનો વપરાશ વધી ગયો હતો. રિઝર્વ સ્ટોક વપરાઈ જતાં તેમણે નવા ગેસ મળે તે ભાવે ખરીદવાની શરૂઆત કરી તેને પરિણામ ભાવમાં એકાએક ઊછાળો આવ્યો છે. ભારતમાં રોજના 200 એમએમએસસીએમડી ગેસ વપરાય છે. તેમાંથી 50થી વધુ ટકા આયાતી ગેસ પર નિર્ભર છીએ.
અત્યારે ભારતમાં આયાત કરનારાઓએ લોન્ગટર્મ ખરીદીના એગ્રીમેન્ટ કર્યા હોવાથી તેમને 14થી 15 અમેરિકી ડૉલરના ભાવે સપ્લાય મળી રહ્યો છે. આ સમસ્યા જાન્યુઆરી 2022થી હળવી થવા માંડશે. જાન્યુઆરી 2022 સુધી શાંતિથી કામ ચલાવી લેવું પડશે.ચીને પણ ઉત્પાદનને નિયંત્રિત કરીને પરિસ્થિતિને પહોંચવાનું આયોજન કર્યું જ છે.
CNGના ભાવમાં હજીય રૂા. પાંચનો વધારો થઈ શકે કિલોદીઠ ભાવમાં રૂા. 2.56નો વધારો જાહેર કરાયો
નેચરલ ગેસના આંતરરાષ્ટ્રીય બજાર ભાવમાં એકાએક જંગી ઉછાળો આવતા ભારત અને ગુજરાતમાં પણ સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થશે. આજે પણ અદાણી ગેસે કિલોદીઠ સીેએનજીના ભાવમાં રૂા. 2.56નો વધારો કરી દીધો છે.
આ જ રીતે ગુજરાત ગેસ પણ આગામી સોમવાર સુધીમાં એટલે કે બે ત્રણ દિવસમાં સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરે તેવી સંભાવના છે. આ જ રીતે બંને કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં નેચરલ ગેસના ભાવમાં એકાએક જંગી ઉછાળો આવતા ભારત અને ગુજરાતમાં પણ સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થશે.
પીએનજી ઘરેઘરે રસોડામાં વપરાતો ગેસ છે. તેથી ગૃહિણીઓએ પણ ગેસના બિલ પેટે વધારાનો ખર્ચ બોજ વેંઢારવો પડશે. આગામી જાન્યુઆરી સુધીમાં બીજો ચારથી પાંચ રૂપિયાનો વધારો આવવાની શક્યતા જોવાઈ રહી છે. એક સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં એમએમબીટીયુ દીઠ 3.9 ડૉલરના ભાવે મળતા નેચરલ ગેસનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં આજે વધુને 32થી 35 ડૉલર સુધી પહોંચી જતાં આ ભાવ વધારો આવ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WxO4ga
via IFTTT
Post a Comment