રાજ્યસભાની ગુજરાતની બે બેઠકો પરથી ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 22 ફેબ્રૂઆરી, 2021, સોમવાર

રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણીમાં આજે ચૂંટણી અધિકારીએ ભાજપના દિનેશચંદ્ર અનાવાડિયા અને રામભાઈ હરજીભાઈ મોકરિયાને બિનહરિફ વિજેતા જાહેર કર્યા છે. રાજ્યસભામાં પોતાના ઉમેદવારને જીતાડી શકે તેટલું સંખ્યાબળ કોન્ગ્રેસ પાસે ન હોવાથી પેટાચૂંટણી માટે તેણે પોતાના એક પણ ઉમેદવારને ઊભા જ રાખ્યા નહોતા. તેથી ભાજપના બંને ઉમેદવારો બિનહરિફ વિજેતા જાહેર થયા છે. 

કોન્ગ્રેસના અહમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના અવસાનને કારણે ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી હતી. તેની પેટા ચૂંટણી થવાની હતી. ચૂંટણી પંચે બંને બેઠક માટે અલગ અલગ ચૂંટણી યોજવાનો નિર્ણય લેતા કોન્ગ્રેસ પાસે કોઈપણ સંજોગોમાં બહુમતી ન થતી હોવાથી તેણે પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઊભા જ ન રાખવાનો નિર્ણય કર્યો તેથી ભાજપના રામભાઈ મોકરિયા અને દિનેશ અનાવાડિયાને વિજેતા જાહેર કરી દેવાયા છે. 

આ સાથે જ રાજ્યસભાની ગુજરાતની કુલ 11 બેઠકમાંથી 8 બેઠક પર ભાજપે કબજો કરી લીધો છે. કોન્ગ્રેસ પાસે અત્યાર સુધી ગુજારતની 11માંથી 4 બેઠક હતી. હવે તે ઘટીને 3 થઈ ગઈ છે. અહેમદ પટેલને સ્થાને અન્ય કોઈ જ ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ન ઉતારવામાં આવતા કોન્ગ્રેસની ગુજરાત ખાતેની રાજ્યસભાની વધુ એક બેઠક ઓછી થઈ છે. 

રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના બંને સભ્યોને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અભિનંદન આપ્યા હતા. નવા ચૂંટાયેલા બંને સભ્યો અંદાજપત્ર સત્રથી જ રાજ્યસભાના સભ્ય તરીકેના શપથ લઈ લેશે અને સક્રિય થઈ જશે. આ સાથે જ રાજ્યસભામાં પણ ભાજપનું સંખ્યાબળ વધ્યું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dEhnEa
via IFTTT

Post a Comment

Previous Post Next Post