
અમદાવાદ, તા. 21 ફેબ્રુઆરી 2021, રવિવાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની આજે ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યની 6 કોર્પોરેશનની 575 બેઠક માટે મતદાન શરુ, 2,276 ઉમેદવારોનું ભાવિ સીલ થશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપી નેતા અમિત શાહ પણ મતદાન કરવા અમદાવાદ પહોંચ્યાં હતાં અને મતદાન કર્યુ. અમિત શાહ પરિવાર સાથે મતદાન કરવા માટે નારણપુરા વોર્ડ પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રીએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
અમિત શાહે જણાવ્યું કે, આજે ગુજરાતમાં તમામ મહાનગરપાલિકાની ચૂંટણીથી લઇ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓની ચૂંટણીના આજે શ્રીગણેશ થયા છે. ગુજરાતમાં જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતાં ત્યારથી શહેરી વિકાસ, ગ્રામીણ વિકાસ અને સમગ્રતાથી ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે એક વિકાસ યાત્રા શરૂ થઇ હતી. ચાહે જંગલોના ક્ષેત્ર હોય, પહાડી વિસ્તાર હોય કે શહેર હોય કે ગામ, દરેક જગ્યાએ સર્વસમાવેશી અને સર્વસ્પર્શી વિકાસની શરૂઆત થઇ હતી. અને તે યાત્રા આજે સમગ્ર ભારત માટે અનુકરણીય યાત્રા બની છે.
ભારતમાંથી અનેક રાજ્યો તેમાંથી સંપૂર્ણ વિકાસની પ્રેરણા લઇને આગળ વધ્યા છે. મને ભરોસો છે કે ભારે સંખ્યામાં ગુજરાતના મતદાતાઓ મદતાન કરશે અને અંતે વિજય વિકાસનો જ થશે. નરેન્દ્ર ભાઇના નેતૃત્વમાં ભાજપે સમગ્ર દેશમાં પોતાનો વિજય પરચમ લહેરાવ્યો છે. જ્યાંથી આ વિજય યાત્રાની શરૂઆત થઇ તે ગુજરાત ફરી એકવાર આ ચૂંટણીઓ પછી ભારતીય જનતાના ગઢ તરીકે પોતાને પ્રસ્થાપિત કરશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZDVOuU
via IFTTT
Post a Comment