
અમદાવાદ, તા. 22 ફેબ્રૂઆરી, 2021, સોમવાર
આવતીકાલ મંગળવારે અમદાવાદ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાની ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. ચૂંટણી પરિણામ અગાઉ એવી ચર્ચા છેકે, મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને એન્ટી ઇન્કમ્બન્સી નડી શકે છે જયારે કોંગ્રેસને આંતરિક જૂથવાદ જ અવરોધરૂપ બનશે.
ટિકિટોની વહેંચણીને લઇને ભાજપ અને કોંગ્રેસમાં ભારે અસંતોષ ભભૂકી રહ્યો છે. આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલના ભડકે બળતાં ભાવ,મોંઘવારી ઉપરાંત બેકારીને લીધે મતદાન ન કરીને ભાજપ તરફી મતદારોએ છૂપો અસંતોષ વ્યક્ત કર્યો છે.
આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદારોની નારાજગી સ્પષ્ટપણે નજરે પડી હતી. આ એન્ટી ઇન્કમ્બન્સી જ ભાજપને ભારે પડી શકે છે. સૂત્રો કહે છેકે, ભાજપ સત્તા તો જાળવી રાખશે પણ બેઠકોમાં ઘટાડો નોંધાઇ શકે તેમ છે.
આ તરફ, કોંગ્રેસ શહેરી મતદારો પર ઝાઝો પ્રભાવ પાડી શકી નથી. મોંઘવારી જેવા અનેક સળગતાં પ્રશ્નો હોવા છતાં ય કોંગ્રેસ તેનો રાજકીય લાભ લઇ શકી નહી બલ્કે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ અંદરો અંદર જ એવા બાખડી રહ્યાં છે જેના લીધે ચૂંટણી મેનેજમેન્ટ એકદમ નબળુ રહ્યુ હતું.
એટલું જ નહીં, ટિકિટની વહેંચણીને લઇ તો એવી દશા થઇ કે,કોંગ્રેસે એવા ઉમેદવારોને ટિકિટો આપી કે જેમણે ભાજપના ઇશારે ફોર્મ પાછા ખેંચી જીત આસાન બનાવી દીધી હતી. ભાજપની 200થી વધુ બેઠકો પર ઉમેદવારો કોંગ્રેસની નબળા ચૂંટણી મેનેજમેન્ટને લીધે બિન હરીફ બનાવી દીધી હતી.
આ ઉપરાંત,કોંગ્રેસના કકળાટને લીધે ઓવેસીના પક્ષે પણ સહાનુભૂતિના આંસુ સારીને મતો મેળવી લીધા હોવાનું તારણ છે.કોંગ્રેસના મતો ઔવેસીના પક્ષમાં તબદીલ થયાના એંધાણ છે.
આમ,ઔવેસી ભાજપને નહી,કોંગ્રેસને નડે તેમ છે જેથી કોંગ્રેસની પેનલો તૂટે તેમ છે. આમ, કોંગ્રેસને આંતરિક ડખાં એટલી હદે નડશે કે,એકેય મહાનગરપાલિકામાં મતદારો સત્તાનુ સુકાન સોંપે તેવી શક્યતા નહિવત છે. ભાજપને પક્ષનો જ આંતરિક અસંતોષ સંપૂર્ણ બહુમતીની જીતમાં અવરોધ બની શકે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pO7B4C
via IFTTT
Post a Comment