
અમદાવાદ,14,નવેમ્બર,2020,શનિવાર
ભારતમાં તેજોમય દિવાળી માત્ર ઉત્સવ જ નહી એનાથી પણ કંઇક વિશેષ છે. જાણે કે જીવનનો એક પડાવ પાર કર્યો હોય હોવાનો અહેસાસ થાય છે. કદાંચ આથી જ તો લોકો પોતાના આયખા અને અનુભવને દિવાળી સાથે જોડે છે. વધુ દિવાળીઓ જોઇ હોવાનું કથન જોતા તો જીવનનું સરવૈયું માંડવાનો અવસર હોય એમ જણાય છે. આવનારા દિવસો ઉત્સાહ અને ખુમારીથી જીવવાની ખેલદિલી પણ પ્રગટ થાય છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૧ અબજ લોકો આ પ્રાચીન તહેવાર ઉજવે છે. દિવાળીનો અર્થ દિવાઓની હારમાળા એવો થાય છે પરંતુ તેની સાથે પરંપરાઓની હારમાળા પણ છે.

રાજસ્થાનમાં કેટલાક સ્થળે દિવાળીએ શસ્ત્ર પૂજા કરવાની પરંપરા છે. રાજસ્થાનના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં બિલાડીને લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવે છે. પૂજા કર્યા પછીનો પ્રથમ પ્રસાદ બિલાડીને ખવડાવવામાં આવે છે. એ દિવસે બિલાડીને ઘરેમાં આવવા જવાની છૂટ હોય છે તે ઘરમાં નુકસાન કે ઢોળ ફોડ કરે તો પણ તેને હાંકી કાઢવામાં આવતી નથી. હિમાચલ પ્રદેશમાં બુઢી દિવાળી મનાવવાની પરંપરા છે. દિવાળી વિતી ગયાના એક મહિના પછી ઉજવવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામ લંકાથી અયોધ્યા પધાર્યા તેની જાણ હિમાચલપ્રદેશના અંતરિયાળ વિસ્તારના લોકોને મોડી થઇ હતી. આથી તેમની દિવાળી એક મહિના પછી ઉજવાય છે .સિરમોરા જિલ્લાના ગિરિપાર વિસ્તારના ગામોમાં આ પ્રથા મનાવવામાં આવે છે. સવારે ૪ વાગે મશાલયાત્રા કાઢવામાં આવે છે.પારંપારિક રસ્સા નૃત્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે. જો કે આ બુઠી દિવાળી ઉજવવાની પ્રથા ભૂલાતી જાય છે. ખાસ કરીને બહારગામ નોકરી કરતા લોકોને રજા હોય છે ત્યારે વતનમાં દિવાળી હોતી નથી. વતનમાં દિવાળી હોય ત્યારે રજા પાળીને આવી શકાતું નથી.

બિહારના કોશીમાં હુક્કાપાતીનો અનોખો રિવાજ છે. શણની મજબૂત સળીમાંથી બનેલી લાકડીમાંથી હુક્કાપાતી બનાવ્યા વગર રીવાજ અધૂરો છે. દિવાળીના દિવસે આ ઘરોમાં હુક્કાપાતી રમે છે. પરંપરા મુજબ હુક્કાપાતીને લોકો પોતાના ઘરના ખૂણામાં પ્રગટાવીને લક્ષ્મી ઘર દરિદ્ર બહાર એવા શબ્દો ઉચ્ચારે છે. આ હુક્કાપાતીને ઘરે ઘરે ધૂમાવવામાં આવે છે. હુકકાપાતી બહાર કાઢયા વગર લોકો બહાર નિકળતા નથી. ઘરની બહાર કે ખેતર કે સડક પર હુકકાપાતી રાખીને પાંચ વાર તેને લાંઘવમાં આવે છે. દિવાળીના દીવા,પૂજા પાઠ અને હુક્કાપાતિને જરુર ખરીદે છે. જયાં પટુઆની ખેતી થાય છે ત્યાં લોકો જાતે પણ બનાવી લે છે. જદિયા, મીરગંજથી ખરીદીને હુક્કાપાતી વેચવામાં આવે છે. પથી ૧૦ રુપિયામાં વેચવામાં આવે છે. કોશીના લોકો આમ કરવાથી દરીદ્રતા દૂર થાય છે એવું માને છે.

તેલંગાનામાં ધામમૂમથી દિવાળીનો તહેવાર ધામધોમથી મનાવવામાં આવે છે.ધનતેરસ,નરક ચતુદર્શી,દીપાવલી, ગોવર્ધન પૂજા વગેરે મનાવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં ગાયોની પૂજા કરવામાં આવે છે. ગાયને નદી નાળા કુવા અને સરોવર પાસે સવારે લઇ જઇને સ્નાન કરાવે છે. ત્યાર પછી ગાયને સજાવે છે. ગાયને શણગારવાનો કાર્યક્રમ બપોરે ૨ વાગ્યા સુધી ચાલે છે. ખેતરમાંથી ગાયને ઘરે લઇ જવામાં આવે છે. મહિલાઓ ગાયના પગ ધૂએ છે.પૂજા અને આરતી કરે છે અને નૈવેધ ધરાવે છે.

છતીસગઢના બસ્તરમાં દિવાળીના તહેવારના સમયમાં દિયારી ઉજવાય છે. તેનો મતલબ પશુધન અને પાકનું રક્ષણ અને વૃધ્ધિ એવો થાય છે. ઘમતરી જિલ્લાના સેમરા (સી)ગામમાં દરેક તહેવાર એક અઠવાડિયું વહેલા ઉજવવામાં આવે છે. ભારતનું એક માત્ર ગામ જયાં બધા જ તહેવારો વહેલા ઉજવાય છે. ભારતમાં દિવાળીનો તહેવાર શરુ થાય ત્યારે ગામ લોકો ઉજવીને પરવરી રહયા હોય છે. આ ગામ પોતાની વિશિષ્ટ પરંપરા અને સભ્યતા માટે જાણીતું છે. ગ્રામ દેવતાની પ્રસન્નતા માટે આમ કરે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IyEYZt
via IFTTT
إرسال تعليق