અમદાવાદમાં વધુ 161 લોકો કોરોનામાં પટકાયા, બે દર્દીનાં મોત


ખાનગી હોસ્પિટલોના બેડ ફરી ભરાવા માંડયા

અમદાવાદ, તા. 7 નવેમ્બર, 2020, શનિવાર

અમદાવાદમાં ફરી કોરોનાના નવા કેસો વધ્યા છે, પરંતુ ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો હોવાથી એક્ટિવ કેસોમાં ઘટાડો નોંધાયો છે. દુકાનદારો અને ફેરિયાઓના થઇ રહેલાં રેપિડ-એન્ટિજન ટેસ્ટના કારણે એસિમ્ટોમેટિક હળવા લક્ષણોવાળા દર્દીઓ પણ વધી રહ્યાં છે.

છેલ્લા કેટલાય સમયથી સૌથી વધુ નવા દર્દીઓ સુરતમાં નોંધાતાહતા, તે સ્થાન છેલ્લા 4 દિવસથી અમદાવાદે લઇ લીધું છે. દરમ્યાનમાં આજે નવા 161 દર્દીઓ સરકારી યાદી અનુસાર નોંધાયા છે.

જ્યારે બે દર્દીઓએ સારવાર દરમ્યાન તેમના જીવ ગુમાવ્યા છે. તેમજ સાજા થઇ ગયેલા 189 લોકો ડિસ્ચાર્જ કરાયા છે. મ્યુનિ.ની હદમાં નોંધાયેલા કુલ દર્દીઓનો આંકડો 45781ને આંબી ગયો છે. તેમાંથી 1867 દર્દીઓના કરૂણ મૃત્યુ થયો છે.

બીજી તરફ સાજા થયેલાં 36095 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. દરમ્યાનમાં સારવાર હેઠળના એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 2729ની થઇ ગઇ છે. જેમાં પશ્ચિમઝોન, ઉત્તર પશ્ચિમઝોન, દક્ષિણ પશ્ચિમઝોનના 1307 છે, જ્યારે પૂર્વપટ્ટાના મધ્યઝોન, દક્ષિણઝોન, ઉત્તરઝોન, પૂર્વઝોનના એક્ટિવ કેસો 1422 છે. ફરી પૂર્વપટ્ટો આગળ નિકળ્યો છે.

ખાનગી હોસ્પિટલોના 2048 પ્રાઈવેટ બેડમાં 1287 દર્દીઓથી ભરાઈ ગયા છે, જ્યારે 761 જ ખાલી છે. ખાલી બેડ અગાઉ 43 ટકા રહેતા તેના સ્થાને હાલ 37 ટકા થઇ ગયા છે. ભરાયેલા બેડ પૈકી 192 આઈસીયુના છે, જ્યારે 83 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. આ આંકડાનું વિશ્લેષણ કરતાં જણાય છે કે, અગાઉ કરતાં દર્દીઓની સંખ્યા વધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે (1) પેટા ચૂંટણીની ભીડ (2) અમદાવાદમાં બજારમાં ખરીદીની ભીડ અને (3) બેવડી ઋતુનો પ્રારંભ થઇ ગયો છે. આ ત્રણ કારણોસર દર્દીઓની સંખ્યામાં વધારો થશે તે અગાઉ કરાયેલું અનુમાન સાચુ પડી રહ્યું છે. માસ્ક નહીં પહેરવો કે ગળામાં લટકાયેલો રાખવો અને સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવવાની બેદરકારીના માઠા પરિણામો દેખાઈ રહ્યાં છે.

ઘાટલોડિયાની શ્રીકુંજ સોસાયટીમાં કોરોના સંક્રમણ

અમદાવાદ,શનિવાર

શહેરમાં મ્યુનિ.તંત્ર દ્વારા શનિવારે વધુ આઠ સ્થળ કોરોના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકતા માઈક્રોકન્ટેઈન્મેન્ટની સંખ્યા ફરી એક વખત 101 ઉપર પહોંચી છે.ઘાટલોડિયાની શ્રીકુંજ સોસાયટીમાં કોરોના પોઝિટિવ કેસ વધતા સોસાયટીના 53 મકાનને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

ઘોડાસર વોર્ડમાં શાકુંતલ એપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર વોર્ડમાં પ્રેસ્ટીજ ટાવર, જીવરાજ પાર્કની સત્યનારાયણ સોસાયટી વિભાગ-ત્રણ, ભાઈપુરા વોર્ડમાં આવેલા વિમલનગર અને પ્રગતિ પાર્ક-વિભાગ-બે તથા પાલડી વોર્ડમાં શાંતિવન પાસે આવેલી નેમિનાથ સોસાયટીના કોરોના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32lzvMk
via IFTTT

Post a Comment

أحدث أقدم