
અમદાવાદ, તા. 17 ઓક્ટોબર, 2020, શનિવાર
આદ્યશક્તિની આરાધના પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. સ્વાભાવિક રીતે જ ગરબા વગરની નવરાત્રિ ઝાંખી-ઝાંખી લાગી રહી છે. કોરોનાના રોગચાળાને વકરતો અટકાવવા માટે ગરબા નહીં યોજવા અને માત્ર આરતી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં એક તરફ શેરી, સોસાયટી અને પોળામાં ટ્રેડિશનલ ગરબાની ધૂમ મચતી હતી. તો, બે ડઝનથી વધુ પાર્ટી પ્લોટોમાં યુવા ધન શક્તિની ભક્તિના ભાવ સાથે મન મુકીને ગરબે ઘુમતા હતા.
પણ, આ વર્ષે માત્ર આરતી જ કરવાના આદેશથી માઈભક્તો મનમાં રંજની લાગણી પણ અનુભવી રહ્યાં છે. જો કે, પાર્ટી પ્લોટોમાં ગરબા ન હોવા છતાં રાતે ટહેલવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. લોકોની અવરજવર અંકુશિત કરવા ઉપરાંત આરતી કર્યાં પછી લોકો પોતપોતાના ઘરે જાય અને સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટે પોલીસ સક્રિય બની છે.
ગરબા વગરની નવરાત્રિનો પ્રારંભ ઝાંખો લાગી રહ્યો છે પણ પોલીસ ફોર્સનેે મોટીરાત સુધી સ્ટેન્ડ-ટુ રહી પેટ્રોલિંગ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. આજે વિડિયો કોન્ફરન્સ યોજી ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, નવરાત્રિમાં કોરોના અટકાવવા માટે લોકો સોશિયલ ડીસ્ટન્સ જાળવે તે જરૂરી છે.
સોસાયટીઓમાં આરતી કરવા માટે પોલીસની મંજુરી લેવાની જરૂર નથી. પરંતુ, 200થી વધુ લોકો એકત્ર થાય અને એક કલાકમાં આરતીનું સમાપન ન થાય તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. પોલીસનો હેતુ કોરોનાનો રોગચાળો અંકુશમાં રાખવાનો છે.
કોરોનાના રોગચાળાથી ચાલુ વર્ષે તમામ તહેવારો ફીક્કાં બન્યાં છે. ગુજરાતની ઓળખ એવાં ગરબાનું ગાન કોરોનાના કારણે ફીક્કું બન્યું છે. ગરબા વગરની નવરાત્રિ ઝાંખી બની છે. ગુજરાત સરકારે નવરાત્રિમાં ગરબા ગાવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ, આધ્યશક્તિની આરતી કરવાની છૂટ આપવામાં આવી છે.
જો કે, કોરોના અટકાવવા જાહેર કરાયેલાં નિયમોનું પાલન કરવામાં આવે તે માટે સમગ્ર ગુજરાતની પોલીસને ગાઈડલાઈન આપવામાં આવી છે. ડીજીપીએ આજે વિડિયો કોન્ફરન્સ યોજીને રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને સુચનાનું પાલન કરાવવા જણાવ્યું છે.
ખાસ કરીને આરતીનું આયોજન એક કલાકમાં પૂર્ણ થાય તેના પર ધ્યાન કેન્દ્રીત કરવા સુચના અપાઈ છે. સોસાયટીઓ, પોળ, રસ્તાઓ અને જાહેરમાં લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે પોલીસ પેટ્રોલિંગ કરશે. નવરાત્રિનો ધમધમાટ હોય ત્યારે પોલીસ મોડી રાત સુધી સક્રિય રહેતી હતી તે જ રીતે કોરોનાથી ગરબા વગરની નવરાત્રિમાં પણ પોલીસ મોડી રાત સુધી સ્ટેન્ડ-ટુ રહેશે.
પોલીસને એવી પણ સુચના આપવામાં આવી છે કે, ક્યાંય પણ 200થી વધુ લોકો એકઠાં થયાં હોય તો તેમને વિખરાઈ જવા સૂચના આપવાની રહેશે. આ ઉપરાંત, માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન કરે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. જાહેર રોડ પર પોલીસ પેટ્રોલિંગ કરશે. જો કે, નવરાત્રિમાં મોડી રાત સુધી ફરવાનો ટ્રેન્ડ છે.
ગરબા ન હોવા છતાં લોકો મોડીરાતે ફરવા નીકળી પડે તેવી સંભાવનાએ પોલીસ મોડી રાત સુધી કાર્યરત રહેશે. એ જ રીતે મંજુરી વગર આરતી કરવાની છૂટ છે તેવી સોસાયટી, મહોલ્લા, પોળમાં પણ પોલીસ તપાસ કરશે. સોસાયટીમાં ઘટ સૃથાપન થઈ ચૂક્યાં છે અને આરતી પછી ઓટલા પરિષદનો ટ્રેન્ડ જોવા મળે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T4WfLK
via IFTTT
Post a Comment