ABG શિપયાર્ડના પ્રમોટરો પાસેથી 101 કરોડ વસૂલવા SEBIની મદદ લો : NCLT


અમદાવાદ, તા. 17 ઓક્ટોબર, 2020, શનિવાર

દેવામાં ધરબાયેલી એ.બી.જી. શિપયાર્ડના પ્રમોટરો પાસેથી લેણાં નીકળતા રૂપિયા 101.05 કરોડ વસૂલવા માટે સેબી (સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા) સમક્ષ રજૂઆત કરી રિકવરની આદેશો મેળવવા એન.સી.એલ.ટી. (નેશનલ કંપની લા ટ્રિબ્યુનલ)ની અમદાવાદ બેન્ચે આદેશ કર્યો છે.

એ.બી.જી. શિપયાર્ડ ભરૂચમાં ભારતમાં ખાનગી સેક્ટરનું સૌથી મોટું શિપ બિલ્ડીંગ યાર્ડ ધરાવે છે. આ કંપની સામે રૂપિયા 18,000 કરોડનું દેવું હોવાથી એન.સી.એલ.ટી.ની અમદાવાદ બેન્ચે એપ્રિલ-2019માં આ કંપની સામે લિક્વિડેશનની પ્રક્રિયા શરૂ કરી છે.

ટ્રિબ્યુનલ દ્વારા સત્તાવાર લિક્વિડેટર (ફડચા અધિકારી) તરીકે નિયુક્ત કરાયેલા સુદર્શન ભટ્ટે ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી કે કંપનીના પ્રમોટરો રિશી અગ્રવાલ અને કમલેશ કુમાર અગ્રવાલે કંપનીમાંથી ગેરાકાયદે લાભ તરીકે રૂપિયા 101.05 કરોડ મેળવ્યા છે. 

રિશી અગ્રવાલ અને કમલેશ કુમાર અગ્રવાલ સેકન્ડ લેન્ડ ડેવલોપર્સ(હવે જેનું નામ શિવરિસ રિસોસસ છે) સાથે જોડાયેલા છે અને સેકન્ડ લેન્ડ ડેવલોપર્સ એ.બી.જી.ના પ્રમોટર પૈકીના એક છે. બન્ને પ્રમોટરોએ આ રકમનો ઉપયોગ જમીન ખરીદવા માટે કર્યો હોવાનો આક્ષેપ છે.

જાહેર શેરહોલ્ડિંગ કંપનીના નાણાંનો આ પ્રકારે અનુચિત ઉપયોગ થવાની કંપની દેવાદાર બની હોવાનું સેબીના ધ્યાને આવતા સેબીએ પણ ગત 24મી માર્ચે બન્ને પ્રમોટરોને આદેશ કર્યો હતો કે આ રકમ તેઓ ત્રણ માસની સમયમર્યાદામાં આઠ ટકાના વાષક વ્યાજે ચૂકવી આપે. જેથી સત્તાવાર લિક્વિડેટરે ટ્રિબ્યુનલ સમક્ષ રજૂઆત કરી છે કે અંગત લાભ માટે કંપનીના ખાતામાંથી ઉચાપત કરાયેલા આ નાણાની રિકવરી માટે ટ્રિબ્યુલે યોગ્ય નિર્દેશો કરવા જોઇએ.

જેમાં ટ્રિબ્યુનલના જ્યુડિશીયલ મેમ્બર મનોરમા કુમારીએ આદેશ કર્યો છે કે સેબીએ સક્ષમ સત્તામંડળ તરીકે રિકવરીનો આદેશ કર્યો છે તેથી કંપનીના પ્રમોટરો પાસેથી લેણી નીકળતી રકમ પરત મેળવવા માટે સેબી સમક્ષ રજૂઆત કરી રિકવરીના યોગ્ય આદેશો મેળવવામાં આવે. આ નિર્દેશ સાથે ટ્રિબ્યુનલે પિટિશનો નિકાલ કર્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/347MIKj
via IFTTT

Post a Comment

أحدث أقدم