અમદાવાદમાં ફટાકડા વેચવાની એનઓસી માટે 300 અરજી


અમદાવાદ, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર

નવરાત્રિ પર્વ પુરૂ થવાની સાથે અમદાવાદ શહેરમાં હવે દિવાળી પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.શહેરના રાયપુર,દિલ્હી દરવાજા સહીતના અન્ય વિસ્તારોમાં ફટાકડાનો સીઝનલ વ્યવસાય કરતા 300 જેટલા દુકાનદારો દ્વારા ફટાકડાંનું વેચાણ કરવા માટે અમદાવાદ ફાયર વિભાગ પાસેથી એનઓસી માંગવામાં આવી હતી.જે સ્થળ તપાસ બાદ મંજુર કરાઈ છે.આ સંખ્યામાં હજુ પણ વધારો થવાની સંભાવના હોવાનું જાણવા મળે છે.

મળતી માહીતી પ્રમાણે,અમદાવાદ શહેરમાં ગત વર્ષે ફટાકડાનું વેચાણ કરવા માટે કુલ મળીને 300 જેટલા વિક્રેતાઓ દ્વારા ફાયર વિભાગની એનઓસી મેળવવા માટે અરજી કરાઈ હતી. આ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ  અત્યાર સુધીમાં આવેલી 300  અરજીઓમાં સ્થળ તપાસ બાદ એનઓસી આપવામાં આવી છે. એમ ચીફ ફાયર ઓફીસર એમ. એફ. દસ્તૂરે કહ્યુ છે.

પરંપરાગત ફટાકડાંના વેચાણ માટે જાણીતા એવા રાયપુર, દિલ્હી દરવાજા, કાલુપુર સહીત અન્ય વિસ્તારમાંથી જેમ જેમ ફાયર એનઓસી મેળવવા અરજી કરવામાં  આવે છે એમ એમ સ્થળ તપાસ બાદ એનઓસી અપાઈ રહી છે. ફાયર એનઓસી આપતા અગાઉ પાણી ભરેલી ડોલ, પાણી ભરેલું મોટુ પીપ,6 કે.જી. ટાઈપના ફાયર એકસ્ટીંગ્યુસર અને રેતી ભરેલી ડોલનું સ્ટેન્ડ (ફાયર બકેટ) જરૂર મુજબના ફટાકડાંના વેચાણના સ્થળે રાખવા ખાસ સુચના અપાઈ રહી છે.

આગામી દિવસોમાં હજુ 25 થી વધુ અરજી ફાયર એનઓસી માટે આવવાની શકયતા જોવાઈ રહી છે. કોરોના મહામારીમાં જે વિસ્તારમાં ફટાકડાંના વેચાણ માટે ડોમ બનાવાશે તે ડોમમાં એક સાથે કેટલાં લોકોને પ્રવેશ આપવો એ અંગેનો નિર્ણય મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા નકકી કરાશે એમ જાણવા મળ્યું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HCDHQh
via IFTTT

Post a Comment

Previous Post Next Post