ત્રણ ડૉક્ટરો સહિત ચાર લોકો ફરી વખત કોરોનાનો ભોગ બન્યા


અમદાવાદ, તા. 7 સપ્ટેમ્બર, 2020, સોમવાર

અમદાવાદમાં એક વખત કોરોના થઈ ગયો હોય અને એ જ વ્યક્તિ ફરી કોરોનાની ઝપટમાં આવી ગઈ હોય તેવા ચાર ઉદાહરણો સામે આવતા એન્ટીબોડિઝની થિયરી સામે પણ સવાલો ઉભા થયા છે.

ફરી વખત કોરોનાનો ભોગ બનેલી ચાર વ્યક્તિઓમાંથી ત્રણ તો જુદી જુદી હૉસ્પિટલોના ડોક્ટરો છે. આ વ્યક્તિઓના લોહી અને નેસોફેરીજલ નમૂનાઓ વાયરલ જીનેટિક્સના વધુ અભ્યાસ માટે ગુજરાત બાયોટકનોલોજી રિસર્ચ સેન્ટર ગાંધીનગરને મોકલાયા છે.

મ્યુનિ.ની યાદીમાં આ અંગે જણાવાયું છે કે, (1) બહેરામપુરાના 60 વર્ષના એક ગૃહિણી (2) એલ.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા 23 વર્ષના મહિલા રેસિ. ડોક્ટર, (3) આ જ હોસ્પિટલના અન્ય 33 વર્ષના રેસિ. ડોક્ટર અને (4) જીસીઆરઆઇના 33 વર્ષના રેસિ. ડોક્ટરને 13મીથી 21મી એપ્રિલ વચ્ચે કોરોના થયો હતો.

મટી ગયા બાદ તા 18મી ઓગષ્ટથી 6 સપ્ટેમ્બર દરમ્યાન ફરી તેમને ચેપ લાગ્યો છે. આ પૈકી એક વ્યક્તિ કેરળનો પ્રવાસ કરી આવી હતી, બાકીના ત્રણ અમદાવાદની બહાર ગયા નથી. જો કે, બીજી વખત લાગેલા ચેપમાં કોરોનાના લક્ષણો હળવા જણાયા છે.

એક વ્યક્તિ સાજી થઈ ગઈ છે. એક જીસીઆરઆઇ હોસ્પિટમલાં છે, જ્યારે બે હોમ સાઇલેશનમાં છે. તાજેતરમાં મ્યુનિ.એ કરેલા સર્વેમાં એવું તારણ નીકળ્યું હતું કે જે લોકોને અગાઉ કોરોના થઈ ગયો તેમાંના 40 ટકામાં એન્ટિબોડિઝ મળી આવ્યા ના હતા, એટલે કે તેને ફરી સંક્રમણ થવાનોડર રહે છે. આ બાબતે લોકોની ચિંતામાં વધારો કર્યો છે.

કોરોનાનું ચિંતાજનક પાસુ સામે આવ્યું

એક વખત કોરોના થઈ જાય તે વ્યક્તિમાં એ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ પેદા થાય છે કે ફરી તેને ચેપ લાગી જ ના શકે. આ માન્યતાનો છેદ ઉડાડતી ઘટના સપાટી પર આવતાં લોકોની ચિંતામાં ઉમેરો થયો છે. એન્ટિબોડિઝ અને પ્લાઝમાની થિયરી સામે આ બાબતે ગંભીર સવાલો ઉભા કર્યા છે. કોરોનાનો વાઇરસ વારંવાર તેનું સ્વરૂપ બદલે છે, તેમ વારંવાર એવું થાય છે કે ડૉક્ટરો અને વૈજ્ઞાાનિકોની માન્યતા પણ ફરી જાય છે. અનેક વખત વાઇરસે જુની માન્યતાને ખોટી ઠેરવી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jZLwxl
via IFTTT

Post a Comment

Previous Post Next Post