કોરોના આંકડા છૂપાવવાથી નહીં પણ નક્કર આયોજનથી કાબુમાં આવી શકે


અમદાવાદ, તા. 25 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

અમદાવાદમાં વકરેલો કોરોનાનો મુદ્દો આજે મ્યુનિ. બોર્ડમાં ગાજ્યો હતો. વિપક્ષના નેતાએ એવો સવાલ પૂછ્યો હતો કે, કોરોનામાં 'અમદાવાદ મોડેલ' એટલે શું ? કોરોનાના કેસો છૂપાવવાનું મોડેલ ?

તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા મહિનાથી 150 આસપાસ કેસો અને 4 આસપાસ મૃત્યુ દર્શાવાય છે. આ આંકડા ખોટા અને ભ્રામક છે. માત્ર કેસો છૂપાવવાથી કોરોના ખત્મ થઈ જશે તેમ માનવું ભૂલ ભરેલું છે. આ માટે નક્કર આયોજન જરૂરી છે.

ખોટા આંકડા સ્થિતિ ખરાબ કરી રહ્યા છે તેમ કહી દિનેશ શર્માએ જણાવ્યું હતું કે ઓછા કેસો બહાર આવતા સામાન્ય લોકો સંક્રમણ કાબુમાં છે તેમ માનીને બેદરકાર થઈ જાય છે, નિયમોને અવગણી રહ્યા છે જેથી સંક્રમણ વધુ ફેલાય છે. છેલ્લા ત્રણ મહિનામાં રેપિડ- એન્ટિજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલાઓના નામ- સરનામા સાથેની યાદી જાહેર કરો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

ઉપરાંત મ્યુનિ.ના ઢોરવાડામાંથી અગાઉ ગૂમ થયેલ ગાયો સહિતના 93 ઢોરનો સંવેદનશીલ મુદ્દો ફરી ઉભો થયો હતો જેમાં સૂર પુરાવતા ભાજપના નેતાએ કહ્યું હતું કે, ઢોરવાડામાંથી 600 જેટલી ગાયો વ્યારા નજીકની સહકારી સંસ્થામાં મોકલી અપાઈ છે.

આ કામ સ્ટેન્ડિંગમાં કેમ લાવવામાં નથી આવ્યું ? ઢોરના ઘાસનો ભાવવધારો કરવો હોય તો તે નાની બાબત સ્ટેન્ડિંગ કમિટીમાં આવે છે, પણ ગાયો બીજે મોકલાય તેની જાણ શાસકોને કેમ કરાતી નથી ?

ગોમતીપુરના કોર્પોરેટરે જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં મેટ્રોનું અન્ડરગ્રાઉન્ડ કામ ચાલી રહ્યું છે જે દરમિયાન કેટલાક મકાનો અને ફ્લેટોમાં તિરાડો પડી ગઈ છે. છેલ્લે મક્તમપુરાના કોર્પોરેટર બોલવા ઉભા થયા ત્યારે મેયરે ઝીરો અવર્સ પૂરો થઈ ગયો તેમ જણાવતા કોંગ્રેસના કોર્પોરેટરો ઉભા થઈ જતાં હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસે 'ભાજપ તેરી તાનાશાહી નહી ચલેગી'ના સૂત્રો પોકાર્યા હતા.

ખેડાવાળાને બેસવા ના દીધા મેયરની જોહુકમી 

ધારાસભ્ય- કમ- કોર્પોરેટર ઇમરાન ખેડાવાળા બોર્ડમાં આવ્યા ત્યારે મેયર બિજલ પટેલે કહ્યું હતંણ કે, તમે હાલ કોરોના ટેસ્ટ નથી કરાવ્યો તેથી તમારે બેસવું જોઈએ નહીં. ખેડાવાળાએ કહ્યું કે મેં બે દિવસ પહેલાં જ ટેસ્ટ કરાવ્યો છે અને નેગેટિવ છે માટે જ તો મને વિધાનસભામાં વિધાનસભામાં બેસવા દે છે. તમે અહીં ટેસ્ટ નથી કરાવ્યો માટે તમે બહાર જાવ તેમ મેયરે દ્રઢતાપૂર્વક કહેતાં બોર્ડ તૂટી ના જાય તે હેતુથી તેઓ બહાર જતા રહ્યા અને પછી ટ્વિટ કરીને કહ્યું હતું કે, વિધાનસભા સર્વોચ્ચ ગણાય કે મ્યુનિ. બોર્ડ ? મુખ્યમંત્રી મોટા કે મેયર ? મુખ્યમંત્રી આ સર્ટિફિકેટ માન્ય રાખે છે. જ્યારે મેયરે કહ્યું હતું કે, મારા માટે 192 કોર્પોરેટરોના નિયમો સરખા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33ZA7HF
via IFTTT

Post a Comment

أحدث أقدم