
-ચોવીસ કલાકમાં બીજીવાર અથડામણ થઇ
-એક જવાન પણ શહીદ થયો
શ્રીનગર તા.29 ઑગષ્ટ 2020 શનિવાર
જમ્મુ કશ્મીરના પુલવામામાં છેલ્લા ચોવીસ કલાકમાં સિક્યોરિટી દળો અને આતંકવાદીઓ વચ્ચે બીજી વાર અથડામણ થઇ હતી જેમાં સિક્યોરિટી દળનો એક જવાન શહીદ થયો હતો. સામા પક્ષે ત્રણ આતંકવાદી ઠાર થયા હતા.
ભારતીય લશ્કરના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ સાઉથ પુલવામામાં જદૂરા ગામમાં આતંકવાદીઓ અને સિક્યોરિટી દળો વચ્ચે અથડામણ થઇ હતી. અત્યાર અગાઉ શુક્રવારે પણ સિક્યોરિટી દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં ચાર આતંકવાદી ઠાર થયા હતા અને એક આતંકવાદી શરણે આવ્યો હતો. આજના એન્કાઉન્ટરમાં આપણો એક જવાન શહીદ થયો હતો. સામે ત્રણ આતંકવાદી ઠાર થયા હતા. આમ ચોવીસ કલાકમાં જવાનોએ સાત આતંકવાદીને ઠાર કર્યા હતા.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી કેટલાંક હથિયારો અને વાંધાજનક સામાન મળ્યો હતો, આતંકવાદીઓ પાસેથી એક એકે 47 અને બે પિસ્તોલ સિક્યોરિટી દળોએ કબજે કર્યા હતા. સિક્યોરિટી દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને હજુ વધુ તપાસ ચાલુ હતી. કશ્મીર ખીણ વિસ્તારમાં લશ્કર અને પોલીસ વીણી વીણીને આતંકવાદીને ખતમ કરી રહ્યા હતા શુક્રવારે થયેલી અથડામણમાં સરપંચ નાસિરની હત્યા કરનારો સુહૈબ પણ માર્યો ગયો હતો એમ કશ્મીરના આઇજીપી વિજય કુમારે કહ્યું હતું.
છેલ્લા થોડા સમયથી આતંકવાદીઓ જે તે વિસ્તારના સરપંચ અને સિક્યોરિટી દળના જવાનો પર હુમલા કરી રહ્યા હતા. જો કે કેન્દ્ર સરકારે આપેલી છૂટના પગલે હવે સિક્યોરિટી દળો વધુ કડક હાથે કામ લઇ રહ્યા હતા. જ્યાં જ્યાં આતંકવાદી હોવાની માહિતી મળે ત્યાં સિક્યોરિટી જવાનો જઇને આતંકવાદીને પડકારે છે અને શક્ય હોય ત્યાં સુધી એને જીવતો પકડવાના પ્રયાસ કરે છે. આતંકવાદી ગોળીબાર કરે તો સામો ગોળીબાર કરીને એને હંફાવવામાં આવે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hQEc6w
via IFTTT
Post a Comment