સંરક્ષણ મંત્રાલયે પ્રથમ વખત સત્તાવાર રીતે એક દસ્તાવેજમાં સ્વીકાર્યુ કે ચીનની સેના 5 મેથી ભારતીય વિસ્તારોમાં ઘૂસી છે. વાતચીત છતાં ત્યાં સ્થિતિ સંવેદનશીલ બની ચૂકી છે. મંત્રાલયે એલએસી પર ચાંપતું નિરીક્ષણ અને બદલાયેલી સ્થિતિને અનુરૂપ ત્વરિત કાર્યવાહી કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ ચેતવ્યા હતા કે આ ખેંચતાણ લાંબી ચાલી શકે છે. સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ પર ન્યૂઝ સેક્શનમાં આ દસ્તાવેજ મંગળવારથી ઉપલબ્ધ હતો પણ ગુરુવારે તેના પર વિવાદ સર્જાતા તેને હટાવાયો. દસ્તાવેજમાં મંત્રાલયે કહ્યું કે ચીનના અતિક્રમણને લીધે પૂર્વ લદ્દાખમાં સર્જાયેલી સંવેદનશીલ સ્થિતિની વિગત આપવા માટે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ શુક્રવારે એક અસાધારણ પ્રેસ કોન્ફરન્સ બોલાવશે.
5 તબક્કામાં 55 કલાકની વાતચીત છતાં ચીને પીછેહઠ નથી કરી
દસ્તાવેજમાં એલએસી પર ભારતીય વિસ્તારોમાં પીએલએની ઘૂસણખોરીની વિગતો છે. તે મુજબ ગલવાન ખીણમાં ચીનની સેના 5 મેથી અતિક્રમણ વધારી રહી છે. પેંગોંગ ત્સોના ભારતીય વિસ્તારોમાં 17-18 મેના રોજ ઘૂસણખોરી કરાઈ હતી. મંત્રાલયે કુંગરંગ નાળા અને ગોગ્રામાં પણ ચીનની ઘૂસણખોરીની પુષ્ટી કરી હતી. ઉલ્લેખનીય છે કે ખેંચતાણનો અંત લાવવા કોર કમાન્ડરો વચ્ચે 5 તબક્કામાં 55 કલાક સુધી વાતચીત થઇ ચૂકી છે.
વેબસાઈટ પરથી દસ્તાવેજ હટાવવાથી સત્ય બદલાશે નહીં : રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે ચીનની ઘૂસણખોરીનો સ્વીકાર કરતો દસ્તાવેજ વેબસાઈટ પરથી હટાવી દેવાથી સત્ય બદલાશે નહીં. વડાપ્રધાન મોદી લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી અંગે સત્ય નથી કહી રહ્યા. આ મામલે જુઠ્ઠું બોલવાનું કારણ દેશને જણાવવું જોઈએ. મોદી દેશને ખોટી માહિતી આપે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33AmnEw
via IFTTT
إرسال تعليق