12 જ્યોતિર્લિંગમાં જેનો સમાવેશ થાય છે તેવા દ્વારકાના નાગેશ્વર મંદિર આજે કોરોનાને કારણે સુમસામ ભાસી રહ્યું છે. દર વર્ષે સાતમ-આઠમના તહેવાર દરમિયાન લાખો ભાવિકો નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાના અજગરી ભરડાને કારણે પ્રતિદિન માંડ 8થી 10 જેટલા ભક્તો દર્શન કરવા આવે છે. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ ભાવિકો નાગેશ્વર મહાદેવના દર્શન કરવા અચૂક આવે છે. દ્વારકાથી બેટ દ્વારકા જતી વખતે વચ્ચે નાગેશ્વર મહાદેવનું મંદિર આવે છે. ભાવિકો અહીં નાગ-નાગણીની જોડી પણ ચડાવે છે અને તેની પૂજા કરે છે. આમ કરવાથી કાલસર્પ અને નાગદોષ દૂર થાય છે તેવી માન્યતા છે.
કાલસર્પ અને નાગદોષની પૂજા કરવા ભાવિકો અહીં આવે છેઃ પૂજારી
નાગેશ્વર મહાદેવ મંદિરના મહંત ગિરીધરભારતી ગોસ્વામીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે અહીંના ટ્રસ્ટી અને પૂજારી છીએ. હાલ શ્રાવણ મહિનો ચાલે છે તો કોઈને કાલસર્પ યોગની પૂજા કરવી હોય, નાગદોષની પૂજા કરવી હોય તે ભક્તો અહીં આવે છે. એક મહિમા છે કે, માતા પાર્વતી અને શિવજી ભગવાન નાગ સ્વરૂપમાં પ્રગટ થયા હતા. તેના હિસાબે નાગેશ્વરમાં નાગનું જોડુ ચડાવવામાં આવે છે. કોરોના ન હોત તો સાતમ-આઠમમાં લાખો ભક્તો દર્શન કરવા આવી રહ્યા હોત. અત્યારે ઓછામાં ઓછા 8થી 10 ભક્તો માંડ દર્શન કરવા આવે છે. લાખો ભક્તો અહીં નાગ-નાગણીની પૂજા કરવા આવતા હોય છે. પરંતુ હાલ કોરોનાને કારણે કોઈ આવતું નથી.
નાગેશ્વર મંદિરનો મહિમા
નાગેશ્વર મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે.તે દ્વાદશ(12) જ્યોતિર્લિંગમાંનું એક છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને ‘દારુકાવન નાગેશમ’ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.આ જ્યોતિર્લિંગને મળતા આવતાં અન્ય દેવસ્થાનો જગતેશ્વર(અલ્મોડા, ઉત્તરાખંડ) અને ઔંધ (મહારાષ્ટ્ર)માં છે. શિવ પુરાણ અનુસાર નાગેશ્વર દારુકવન (એક પૌરાણિક જંગલનું નામ)માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકવનનો ઉલ્લેખ આવે છે.
નાગેશ્વર મહાદેવના નામ પડવા પાછળની દંતકથા
દારુકા નામની રાક્ષસણીએ મહાન તપ કરીને દેવી પાર્વતીને પ્રસન્ન કર્યા હતા. તેણીએ માતાને કહ્યું હતું કે ‘વનમાં ઘણી ઔષધિઓ હોય. જ્યાં લોકોને તેની જરૂર હોય ત્યાં હું વનને લઇ જઈ શકું એવું વરદાન આપો.’ માતાએ તેને સત્કર્મ કરવા માટે વરદાન આપી દીધું. શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવ ભક્ત અને અન્યોને દારુકાએ દારુકવનમાં બંદી બનાવી રાખ્યા હતા. આ વન સર્પોનું હતું અને દારુકા તેમની સ્વામીની હતી. સુપ્રિયાના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યાં અને ભોળાનાથ પ્રકટ થયાં, તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યા. મરતાં પહેલા તે રાક્ષસ કન્યાની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ તેના નામ અનુસાર નાગેશ્વર રખાયું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DPl5Lb
via IFTTT
Post a Comment