UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

આજે 27 જુલાઈ,2020ને સોમવારનો દિવસ છે. ભાસ્કરના મોર્નિંગ બ્રીફમાં મહત્વના સમાચાર જોઈએ. સૌથી પહેલા કારગિલ વિજય દિવસની. આ વિજયને આજે 21 વર્ષ થઈ ગયા. પણ કારગિલ યુદ્ધના બલિદાન તથા શૌર્યની અનેક ઘટનાઓ આજે પણ આપણી સમક્ષ તાજી છે. કારગિલ વિજય દિવસ નિમિત્તે સમગ્ર દેશે શહીદોને યાદ કર્યાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રેડિયો પર તેમના નિયમિત કાર્યક્રમ 'મન કી બાત'માં કારગિલના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું- પાકિસ્તાને ભારત સાથે વિશ્વાસઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. દુશ્મનો પહાડો પર બેઠા હતા, પણ ભારતીય સેનાની ખરી બહાદૂરીની જીત થઈ. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તથા સેનાની ત્રણેય પાંખના પ્રમુખો વોર મેમોરિયલ પહોંચ્યા અને કારગિલના શહીદોને યાદ કર્યાં.

1-હવે વાત રાજસ્થાનના રાજકીય રણની
રાજસ્થાનમાં છેલ્લા 17 દિવસથી રાજકીય ઉથલપાથલે હવે નાટ્યાત્મક ઘટનાક્રમનું સ્વરૂપ લીધુ છે. આ નાટ્યાત્મક ઘટનાક્રમના દરેક એપિસોડમાં નવા-નવા વળાંક આવતા જાય છે. હોટેલથી નિકળી હાઈકોર્ટ, પછી સુપ્રીમ કોર્ટ પહોંચી ગયેલા રાજકીય યુદ્ધનું હવે નવું કેન્દ્ર રાજભવન બન્યુ છે. મુખ્યમંત્રી ગેહલોતનું કહેવું છે કે રાજભવન એટલે કે ગવર્નર કલરાજ મિશ્ર વિધાનસભાનું સત્ર બોલાવવાની તેમની માંગને નજરઅંદાજ કરી રહ્યા છે, જે બંધારણની દ્રષ્ટિએ સદંત્તર અયોગ્ય છે. બીજી બાજુ ભાજપનું કહેવું છે કે CM ગેહલોત તેમના નિવેદનોથી રાજ્યપાલને ધમકાવી રહ્યા છે. ગેહલોતે કહ્યું હતું કે જો રાજ્યપાલ વિધાનસભાનું સત્ર નહીં બોલાવે તો જનતા રાજભવન ઘેરી લેશે.
ગેહલોત સામે પાયલટ-ફટાફટ અપડેટ્સ
પહેલુ-CM અશોક ગેહલોતે વિધાનસભાનું સત્ર બોલાવવા માટે રાજ્યપાલને ફરી પ્રસ્તાવ મોકલ્યો છે. આ અગાઉ પણ ગેહલોતે વિધાનસભા સત્ર બોલાવવા માટે વિનંતી કરી હતી, જોકે તેને લઈ ગવર્નરે કેટલીક બાબતો અંગે વાંધો ઉઠાવ્યો હતો. વર્તમાન સમયમાં ગેહલોત પાસે 100થી વધારે ધારાસભ્યોનું સમર્થન છે અને તેઓ શક્ય એટલા જલ્દીથી બહુમતી સાબિત કરીને તેમની સરકાર પર જે સંકટ આવ્યુ છે તેને ટાળવા માંગે છે. પણ રાજ્યપાલ આ માટે એટલા સરળતાથી તૈયાર દેખાતા નથી. બંધારણીય અર્થઘટન-તર્ક વિતર્ક જારી છે. મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે આ બાબતમાં રાજ્યપાલે કેબિનેટની સલાહ માનવી પડશે.
બીજુ- રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ માટે કોંગ્રેસે ભાજપને જવાબદાર ઠરાવી સોશિયલ મીડિયા પર 'સ્પીકઅપ ફોર ડેમોક્રેસી' અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે આ અભિયાન હેઠળ તે 27 જુલાઈના રોજ સમગ્ર દેશના રાજભવનોનો ઘેરાવો કરશે. રાહુલ ગાંધીએ પણ આ અંગે ટ્વિટ પર વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ લોકતંત્રને ખતમ કરી રહ્યું છે. મધ્ય પ્રદેશ બાદ રાજસ્થાનમાં સરકાર પાડવાનો સતત પ્રયત્ન કરી રહ્યું છે. રાહુલે રાજસ્થાનનું વિધાનસભા સત્ર તાત્કાલિક બોલાવવાની માંગ કરી છે.

ત્રીજુ- રાજસ્થાનમાં રાજકીય સંકટમાં સોમવારે સૌની નજર કોર્ટ પર મંડાયેલી રહેશે.ગેહલોત છાવણીના ધારાસભ્યોને નોટિસ અને તે અંગે સ્પીકરની કાર્યવાહીને લગતો કેસ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળ છે. સોમવારે સુપ્રીમ કોર્ટ જો કોઈ મહત્વનો આદેશ આપશે તો ઘટનાક્રમ ઝડપથી બદલાશે. આ ઉપરાંત ભાજપના એક ધારાસભ્યએ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે કે જો BSPના છ ધારાસભ્ય કોંગ્રેસમાં ભળી ગયા હતા તો તેમની પ્રક્રિયા બંધારણી દ્રષ્ટિએ ખોટી છે.

2- UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ, કોર્ટે અલીબાબા અને જેક મા ને નોટિસ મોકલી
ચીનના ગ્રુપ અલી બાબા અને તેની સહયોગી કંપનીઓ ફરી એક વખત ચર્ચામાં છે. UC વેબમાં કામ કરી ચુકેલા પુષ્પેન્દ્ર પરમારે આરોપ લગાવ્યો છે કે UC વેબ, UC ન્યૂઝ એવા સમાચાર ફેલાવે છે કે ભારતમાં તેને લઈ સામાજીક-આર્થિક રીતે ઉથલપાથલ સર્જાય. પરમારે કહ્યું છે કે આ વિરોધ કરવાને લીધે તેમને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. પરમારે આ બાબતને લઈ ગુરુગ્રામની કોર્ટમાં 20 જુલાઈના રોજ એક અરજી દાખલ કરી હતી. ત્યારબાદ કોર્ટે યુસી વેબની મૂળ કંપની અલીબાબ અને તેના સ્થાપક જેક માને નોટિસ પાઠવી છે. તેમા અલીબાબા તથા જેક માને ફેક ન્યૂઝ ફેલાવવાના આરોપોના 30 દિવસમાં જવાબ આપવા કહેવામાં આવ્યુ છે. લદ્દાખની ગલવાન ઘાટીમાં સીમા વિવાદ બાદ ભારત સરકારે ચીનની જે 59 એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો તેમા યુસી વેબનો પણ સમાવેશ થતો હતો.

3. શિવરાજ ચૌહાણના પત્ની-દિકરાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો
માસ્ક લગાવી રાખો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. કોરોના ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ તેમને ભોપાલની ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે હોસ્પિટલમાંથી ટ્વિટ કરી પોતાના આરોગ્ય અંગે જાણકારી આપી હતી. રાહતના સમાચાર એ છે કે શિવરાજના દિકરા અને તેમની પત્નીના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
એક નજર કોરોનાના આંકડા પર. ભારતમાં દરરોજ મળી રહેલા નવા કેસની સંખ્યા 50 હજારને પાર થઈ ગઈ છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 14 લાખને પાર થઈ ગઈ છે. વિશ્વમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 1.62 કરોડ થઈ ગઈ છે. નોર્થ કોરિયામાં કોરોનાનો પ્રથમ શંકાસ્પદ દર્દી મળ્યો છે. ત્યારબાદ તાનાશાહ શાસક કિમે દક્ષિણ કોરિયા સાથે જોડાયેલા શહેરમાં ઈમર્જન્સી જાહેર કરી છે. ઈઝરાયલમાં પણ સંક્રમિતોનો આંકડો 60 હજારને પાર થયો છે. રાજધાની જેરુસલમ સહિત દેશના અનેક શહેરોમાં પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂ સામે વિરોધ પ્રદર્શન થયું. પ્રદર્શનકારીઓનું કહેવુ હતું કે નેતન્યાહૂ કોરોનાને અટકાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેમના પર કોરોનાને અટકાવવા માટે કરવામાં આવેલા મોટાપાયે ખર્ચમાં પણ ભ્રષ્ટચારનો આરોપ લગાવવામાં આવ્યો છે.

4- ટીવી પ્રેઝેન્ટર રેગિસ ફિબિનનું અવસાન, તેમની તર્જ પર હતુ 'કૌન બનેગા કરોડપતિ'
ટીવી પ્રેઝેન્ટર રેગિસ ફિબિનનું અવસાન થયું છે. રેગિસ 88 વર્ષની ઉંમર ધરાવતા હતા અને ન્યૂયોર્કમાં રહેતા હતા. રેગિસ ફિબિન ક્વિઝ શો 'Who Wants to Be A Millionaire' સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય થયો હતો. આ શોની તર્જ પર ભારતમાં અમિતાભ બચ્ચન સાથે કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો. ક્વિઝ શો હોસ્ટ કરતા પહેલા તેઓ અમેરિકાના લશ્કરમાં તેમની સેવા આપી ચુક્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફિબિનના અવસાન બદલ દુખ વ્યક્ત કર્યું છે.

5- શું કહે છે રાશિફળ-કાર્ડ
રાશિફળ એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 પૈકી 5 રાશિયોને સાવચેતી રાખવાની રહેશે. 27 જુલાઈ, સોમવારે ચંદ્રમા તુલા રાશિમાં રહેશે. જેના પર શનિની ત્રાસી નજર રહેશે. શનિને લીધે ચંદ્રમા પીડિત રહેશે. આ કારણોથી કેટલાક લોકો સામે દિવસભર તણાવની સ્થિતિ રહેશે. ગ્રહોની આ સ્થિતિથી જોબ અને બિઝનેસમાં લેવામાં આવેલ નિર્ણય પણ ખોટા ઠરી શકે છે. આ ફક્ત પાંચ રાશિઓ માટે છે. બાકી 7 રાશિઓ માટે દિવસ ઠીક રહેશે.

ટેરો કાર્ડ શીલા એમ. બજાજ કહે છે કે સોમવાર, 27 જુલાઈ 12 મેથી 7 રાશિઓ માટે સારા પરિણામ આપનાર દિવસ બની રહી શકે છે. કેટલાક લોકો માટે લાભદાયક પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે. કેટલીક રાશિઓનું પારિવારીક અને સામાજીક જીવન સારું રહેશે. જૂના મિત્રો કે સંબંધિઓ સાથે મુલાકાત થઈ શકે છે. મિથુન રાશિ માટે કોઈ મહત્વની ડીલ થવાના સંકેત દેખાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Accused of spreading fake news on UC Web: Court notice to Jack Ma-Alibaba, all eyes on Governor-SC in Rajasthan politics


from Divya Bhaskar https://ift.tt/32XOqgQ
via IFTTT

Post a Comment

أحدث أقدم