તોલોલિંગમાં શહીદ થયેલા પતિનું સપનું પૂરું કરવા માટે પુત્રને ઓફિસર બનાવનારી માતાની કથા

કારગિલમાં તોલોલિંગના શિખર પરથી દુશ્મનોને ખદેડ્યા પછી ત્યાં લહેરાતો તિરંગો બે દાયકા પછી ગૌરવભેર જોવા મળે છે. જમીનના આ ટુકડાને હાંસલ કરવા માટેના જંગમાં બીજી રાજપૂતાના રાઈફલ્સના લાન્સ નાયક બચનસિંહની શહીદીને પણ આજે 21 વર્ષ થઈ ગયા છે પરંતુ તેમની પત્ની કમલેશ બાલાની આંખમાં હજુ પણ 2 વસ્તુ જીવંત છે. પતિ સાથે વિતાવેલી દરેક પળ અને તેમની બંધ આંખમાં આવેલું સપનું... જે તેમણે પૂરું કરી દીધું. પતિની ઇચ્છા પૂરી કરી પુત્રને આર્મીમાં ઓફિસર બનાવ્યો. ખાસ વાત એ છે કે પિતા જે બટાલિયનમાં શહીદો થયા, પુત્ર હિતેષ આજે તેમાં જ લેફ્ટનન્ટ છે. પોસ્ટિંગ પણ ત્યાં જ છે. કારગિલ વિજય દિવસ પ્રસંગે ભાસ્કર સાથેની વાતચીતમાં વીરાંગના કમલેશ બાલાએ વિશેષ વાતચીત કરી. પતિની શહીદીથી લઈ પુત્રને ઓફિસર બનાવવા સુધીની કથા તેમના જ શબ્દોમાં...

માતા સાથે હિતેષ (મધ્ય) અને હેમંત

પતિની બહાદુરી સાંભળી પીએમ, આર્મી ચીફની આંખો ભરાઈ આવી, મારા માટે આ પરમવીર ચક્રથી પણ મોટું સન્માન
તેમને યાદ કરું છું તો આંખોમાં આજે પણ આસું આવે છે પરંતુ તેમને ગુમાવવાનો ગમ નથી... મને ખુશી છે કે હું તેમનું સપનું પૂરું કરી શકી. અભ્યાસ કરી નહીં શકવાને કારણે તેઓ આર્મીમાં સિપાઈ તરીકે દાખલ થયા હતા. તેમની ઇચ્છા હતી કે તેમના જોડિયા પુત્રો હિતેષ અને હેમંત આર્મીમાં ઓફિસર બને. પોસ્ટિંગ દરમિયાન લખેલા દરેક પત્રમાં તેઓ આ વાતનો જરૂર ઉલ્લેખ કરતા હતા.

પતિનો અંતિમ પત્ર હજુ સુધી ખોલ્યો નથી
અમારું ગામ પચેન્ડા કલાં, યુપીના મુજફ્ફરનગરમાં આવેલું છે. તેઓ જ્યારે ગામ પરત ફરતા હતા ત્યારે માત્ર પરિવાર જ નહીં, સમગ્ર ગામમાં જાણે જીવ આવી જતો હતો. તેઓ બહુ જિંદાદિલ હતા... તેમના શહીદીના સમાચાર આવતા જ સમગ્ર ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. તેમના મૃત્યુ પછી ત્રણ દિવસ બાદ તેમનો અંતિમ પત્ર પરિવારને મળ્યો. મેં આજ સુધી તેને ખોલ્યો નથી. એમ ને એમ રાખ્યો છે. મને તો એક જ વાત યાદ હતી કે પુત્રોને આર્મીમાં ઓફિસર બનાવવા. 11 વર્ષની ઉંમરમાં બંનેને મિલેટ્રી સ્કૂલમાં મોકલી દીધા. ધો.12 પછી તેમના અભ્યાસ માટે તે બંનેને લઈ દિલ્હી આવી ગઈ. અહીં હિતેષે બીકોમ અને હેમંતે બીએસઈ પૂરું કર્યું. હિતેષે સીડીએસ પરીક્ષા પાસ કરી અને આઈએમએ દહેરાદૂનમાં ગયો તો મારું સપનું પૂરું થઈ ગયા.

યુનિફોર્મમાં પુત્રને જોઇ માતાની આંખોમાંથી આંસુ સરી પડ્યાં
હેમંતને પણ આર્મીમાં મોકલવા માંગતી હતી પરંતુ કોરોનાને કારણે તે પરીક્ષા આપી શક્યો નહીં. મને ગર્વ છે કે મારો પુત્ર એ જ બટાલિયનમાં ઓફિસર છે કે જેમાં તેના પિતાજી સિપાઈ હતા. દહેરાદૂનમાં તેની પાસિંગ આઉટ પરેડમાં તેને યુનિફોર્મમાં જોઈ મારી આંખમાંથી આસું અટકતા ન હતા. 2019માં કારગિલ યુદ્ધના 20 વર્ષ પૂરા થવા નિમિત્તે યોજાયેલા સમારંભમાં મને દિલ્હી બોલાવાઈ હતી. મંચ પર પતિના બહાદુરીના કિસ્સા સંભળાવવામાં આવતા હતા. મારી આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. સમારંભમાં બેઠેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આર્મી ચીફ બિપીન રાવતની આંખ પણ ભીની થઈ ગઈ હતી. આ સન્માન મારા માટે પરમવીર ચક્રથી પણ મોટું છે. આજે પણ પતિના પત્રને જાળવી રાખ્યો છે... પુત્રોને તેનાથી જ પ્રેરણા આપવાની કોશિશ કરું છું. મને ગૌરવ છે કે મારો પુત્ર પિતાના પગલે ચાલી રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શહીદ પિતાની પ્રતિમા સાથે હિતેષ


from Divya Bhaskar https://ift.tt/3f1dhTw
via IFTTT

Post a Comment

Previous Post Next Post